રવિ ઉપાધ્યાય – સર્જકતાનો ખજાનો

રવિ ઉપાધ્યાયે ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ

અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ

Posted by Dr Jagdip Upadhyaya on February 12, 2009

 
anil-bhatt

અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ

 તારીખ 12 ફેબ્રુઆરી 1935ના દિવસે જન્મેલ ( અર્થાત આજે 12/02/2009 ના રોજ એમણે 74 વર્ષ પૂરાં કરી 75માં વર્ષમાં પ્રવેશ કર્યો હોત)  અને ફક્ત 45 વર્ષની વયે તારીખ 16 સપ્ટેમ્બર 1980નાં દિવસે ડાયાબિટીસ અને એના કોમ્પ્લીકેસનસને લીધે દેવલોક પામેલ અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ મારાં મામા થાય. મુંબઇની કાલબાદેવી પર આવેલ આર્યનિવાસ લોજનાં તેઓ એક  ભાગીદાર. એમનાં મૃત્યુ પ્રસંગે પિતાશ્રી કવિ રવિ ઉપાધ્યાયે રચેલ આ શ્રધ્ધાંજલિ કાવ્ય આજે હાથ લાગ્યું…. અને એમની યાદ તાજી થઇ ગઇ. તેઓ ખૂબ જ વૈશિષ્ટપૂર્વકનું વ્યક્તિત્વ ધરાવનાર, મિતભાષી અને નીરાડંબી. નાનપણથી જ ફૂલગલીના માતાજીની ગરબીના ચોકમાં, માતાજીના પ્રેમરસમાં તરબોળ થઇ, તબલાનાં તાને અને નાદે મસ્ત ભક્તિનું વાતાવરણ જમાવી દેતાં. સત્તાવીસ સાબરકાંઠા ઔદિચ્ય બ્રાહ્મણ નવદૂર્ગા મંડળના નેજા એઠળ કવિ રવિ ઉપાધ્યાયની અમરરચના-ગરબી “રૂમઝૂમ પગલે ચાલ્યાં મા જગજનની જગદંબા” આઇ.એન.ટી ગરબારાસ હરિફાઇમાં 1954માં વિજયી બની. આ વિજયમાં તેમની પ્રેક્ષકોને તબલાની તાલે એક રસ કરી મૂકવાની ક્ષમતાનો ફાળો નાનોસૂનો નહોતો. ફૂલગલીમાં અનેક વર્ષો સુધી આસોની એકમથી પૂનમની માવડીની વિદાય સુધી ગવાતી ગરબીઓને એમનાં તબલાનાં તાલની સંગતે સહુ ભાવિકોને અલૌકિક ભક્તિભાવની પ્રતિતિ કરાવી હતી. વર્ણમ સંસ્થાના ( સંગીતકાર ) નવીન શાહ, કવિ ધનજીભાઇ પટેલ ‘ આનંદ’ (.”… એવો પ્રભુ બનાવ્યો શા માટે ?”), મિમિક્રી આર્ટીસ્ટ કાંતી પટેલ જેવાં કલાકારો જ્યારે પણ આપણને મળે ત્યારે અનિલમામાની યાદ તાજી કરતાં. ઓછું બોલતાં પણ મુદ્દ્દાસરનું બોલતા. શબ્દોનો પ્રાસ મેળવી જવાબ આપવાની એમની લાક્ષણિકતા અજોડ હતી.
ડો. જગદીપ ર. ઉપાધ્યાય.

ધ્યાન્હે તો એક સૂરજ આથમ્યો.

મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો

ધોમ ધૂપમાં વિલાયું સૂરજમુખી -

મઝધારે સાગર જાણે સુકાઇ ગયો -

મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો……. 

અલગારી પ્રકૃતિનો એક આદમી,

પ્રકૃતિને પ્રિય અંક પોઢી ગયો !

મધરાતે પૂનમનો  ચંદ્ર શમી ગયો !

 મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…. ..2 

શાંત, નિખાલસ, નિરાડંબી, મિતભાષી,

સૌનો ચાહક, કળા કુશળ ને ઉલ્લાસી,

ધરતીને પેટાળે જાણે મહાવીજ પ્રપાત થયો,

મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…. ..

ભરયૌવનમાં અણધારી જીવનલીલા સંકેલી

વિધિએ આ તે કેવી વક્રગતિ આંકેલી ?

જલતા જ્વાળામુખી ફાટ્યા પ્રચંડ ઝંઝાવત થયો ?

મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…….4

શોકાશ્રુના મહાસાગરમાં સ્વજન સહુ યે ડૂબ્યાં

યાદી કેરા અતાગ-વનમાં ખૂબ જ ઉંડે ખૂપ્યાં !

સૌનાં હૈયાંની ધડકનનો એક તાલ ખોવાઇ ગયો !

 મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો…….. ..5 

હે ! મહાકાળ ! શરણ તમ આવ્યો પવિતર આત્મા

મંગલમુક્તિ દ્વાર ઉઘાડો, દેજો શાશ્વત-શાતા

આજ હજારો હૈયાંનો એક પુનિત પ્રાર્થના સૂર ઉઠ્યો

 મધ્યાન્હે તપતો એક સૂરજ આથમ્યો……..6

રવિ ઉપાધ્યાય ( 1980 )

2 Responses to “અનિલકુમાર ગિરજાશંકર ભટ્ટ”

  1. Unnati Bhatt said

    Thank you for sending this beautiful poem about my grandpa.
    - Unnati

  2. SHAH, MEDHAVI R said

    I never realized that he was only 45 when he passed away.
    - Medhavi

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>