આજે બાપુજી (રવિ ઉપાધ્યાય)ના જૂના સાહિત્ય સંગ્રહમાંથી પરિમલ નાથાલાલ ભટ્ટના મૃત્યુ માટે લખેલ આ એક અંજલિકાવ્ય હાથ લાગ્યું.પરિમલ નાથાલાલ ભટ્ટ એ મારાં મામા. તેઓ મારાં માતુશ્રી ઉષાબેનના પિતરાઇ ભાઇ. એમનું મૂળ વતન : ગામ આગલોડ, તાલુકો : વિજાપુર, જીલ્લો : મહેસાણા. આ એક અલગારી, નિરાળો સૂફી સંત જેવો જીવ. સંસારમાં રહીને પણ આ દુન્વયી ઝંઝાળથી પર. મુંબઇમાં લોજની માલિકીમાં વારસાગત ભાગીદારી એટલે આમજનતાની તોલે ધની ખરાં પણ સાથે સાથે ધૂની પણ ખરાં. 1940ની આસપાસ કિશોરાવસ્થામાં ઘરે જણાવ્યા વગર તેઓ ફૌજમાં ભરતી થયાં હતાં અને પછી લાહોરમાં posting થઇ હતી. એમના વડિલોએ મહામુશીબતે ત્યાંથી છોડાવ્યાં હતાં. ગામ જવા નીકળેલા એમને તમે મુંબઇ સેંટ્રલ સ્ટેશને વિદાઇ આપી હોય પણ એનું મન ન માને તો બોરીવલી આવે ત્યારે ઉતરી પણ પડે. વાંચનનો જબરો શોખ. તમને આજુબાજુ ક્યાંય એ દેખાતા ન હોય અને એમને શોધવા હોય તો એ બ્રિટીશ લાઇબ્રેરી કે અમેરિકન કાઉંસીલેટની લાઇબ્રેરીમાં અચૂક મળી જાય. સુભાષચંદ્ર બોઝ અને મહર્ષિ અરવિંદના વ્યક્તિત્વથી પ્રભાવિત. મહાગુજરાતની ચળવળમાં તેઓ એક અગ્રણી રાજકીય નેતા તરીકે પ્રસ્થાપિત થયાં. ગુજરાતી નાટકો અને ખાસ કરીને દેશી નાટક સમાજ દ્વારા ભાંગવાડીમાં ભજવાતા નાટકોના પણ તેઓ જબરાં શોખીન.
આ માણસ 1983ના…….. એક દિવસે રોજની જેમ ઉઠે છે. દેશી નાટક સમાજના ઐતિહાસીક નાટ્કોનાં ફિલસૂભી ભર્યા સંવાદો બોલે છે. માતાજીના ગરબાં અને સ્તુતિ ગાય છે. પ્રસાદ વ્હેંચે છે. નાટકનાં શોખીન જીવની આ ચેષ્ઠા ઘરવાળાઓને પણ શરૂઆતમાં ખાસ અજૂગતી ન લાગી. પછી ચેક બુક કાઢી કોરાં ચેક પર સાઇન કરતાં કહે છે ” તમને તાત્કાલિક તકલીફ ન પડે એટ્લે આ sign કરી રાખું છું” અને અટ્ટહાસ કરતાં બોલે છે….” P.N. Bhatt is No more still he is signing the cheque !!!!!…..” આ યોગાત્મા પછી ઘરવાળાં સહુંની વિદાય માગેં છે અને એમનાં માતા કાંતાબાને પગે પડે છે અને કહે છે કે હું જાઉં છું માતાજી આ બારીમા મારી રાહ જુએ છે. આટલું કહી જમીન પર સૂઇ જાય છે અને ચીર નિદ્રામાં પોઢી અનંતની યાત્રાએ નીકળી પડે છે……..
એક સનાતન સત્ય છે કે જે જન્મે છે એનું મૃત્યું આજે હોય કે કાલે, પણ નક્કી જ હોય છે. ક્યાં સ્થળે, કયા રૂપે કે કયા સંજોગોમાં આવશે એ આપણને ખબર હોતી નથી. આ ઘટના આપણને ‘મૃત્યુ’ વિશે વિચાર કરતાં મૂકી દે છે .
-
- શું અમુક મરનાર માણસને મૃત્યુનો ભાસ થઇ જતો હોય છે? (Premonitation . કારતક સુદ અગિયારસ એટલે દેવ ઉઠી અગિયારસે મરણ પામેલ મારાં માતુશ્રી ઉષાબેન તો દિવાળીનાં છેલ્લા દિવસોથી જ દેવ ઉઠી અગિયારસ ક્યારે અને ક્યા વારે આવવાની છે એની પૃચ્છા એમની ખબર કાઢવાં આવનાર સંબંધીઓને કરતાં)
-
- શું આંતરીક આધ્યાત્મિક બળ કે / યોગશક્તિથી ( ? autonomic nervous system control) મૃત્યું રોકી પાછળ ઠેલી કે ટાળી શકાય?
-
- મૃત્યું એટલે શું ? (Heart stoppage ? / Brain Death ? )
-
- અહીં કઇ ઘડીને મૃત્યુની ઘડી માનવી?
- ડો. જગદીપ ર. ઉપાધ્યાય
પ્રસ્તુત છે આ યોગાત્મા પરિમલ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પતું રવિ ઉપાધ્યાય રચિત આ અંજલિગીત
શ્રદ્ધાંજલિ યોગાત્માને
હે મોત તું ને આવડ્યું ના મારતાં, જીન્દગી તારા ઉપર જીતી ગઇ……
ફિલસુફિ યુગોની વજ્રઘાત શી એક પળમાં મીણ થૈ પીગળી ગઇ…..
જન્મ લીધો ધન્ય માતાની કૂખે, કૂળ, કીર્તિ શાખ ઉજાળી દીધી;
માનવી થઇ માનવીના અર્થમાં, વાહ માનવતા ! તું યે મ્હેંકી ઉઠી……
વારસો આધ્યાત્મ સંસ્કારોંનો પામ્યા પિતૃથી, રાષ્ટ્રના ઉત્થાનની ગાઇ સદા ક્રાંતિ-સ્તુતિ;
લોકહિતચિંતક બન્યાં ને લોક સેવા આદરી, જ્યોત આદર્શોની ઉજ્જવલ આજ પણ જલતી રહી..
જળકમળવત જીન્દગી જીવી ગયાં, આળ પંપાળોની ના ભીતિ રહી;
સત્ય, શીલ, ઉત્ક્રાંતિની એ જીન્દગી, કોઇ ભીષણતા ન મૃત્યુની ટકી શકી……
ના હતો કોઇ ક્ષોભ એ આખર પળે, ના હતી કોઇ લોભની જીજીવિષા;
ધન્યતા દેવા તને પળમાં મહા, ગુઢ સંકેતોથી સંકેલી લીધી…….
લેશ ના સ્પૃહા સદા હૈયે ઉદારતા હતી, વેર ના અસૂયા, નિખાલસતા હ્તી;
ચીર: નિદ્રામાં સૂતેલા શક્તિપુત્ર સમાધી પર, હાય વિધાતા ! તું યે રોઇ પડી………
દ્વાર દશ ખુલ્લા થયાં દિકપાળનાં, વૃષ્ટિ થૈ અમૃત – સ્તોત્ર નિ:સર્ગથી !
જ્યોત યોગાત્માના પાર્થિવ દેહની, પાર ભૂતલ ભાસ્કરોમાં ભળી ગઇ ……..!
વેદ, ગીતા, શાસ્ત્ર, બાઇબલ કે કુરાન, કૃષ્ણ, ક્રાઇષ્ટ્ , બુદ્ધ, અલ્લાહ સહુ સમાન;
પ્રકૃતિની શાશ્વતી ઉર્ધ્વ -ચેતના, વિશ્વની વિરાટ વ્યાપકતા વિશે મળી ગઇ……..
મુક્તિના પંથે પળ્યો યોગી સૂણીને સત્યસાદ, પ્રેમનો ” પરિમલ” વહાવી અંતરીક્ષેથી અજ્ઞાત;
કાર્ય કરવા પૂર્ણ સૌ દૃઢ મનોસંકલ્પથી, આજ માનવમેદની શ્રદ્ધાંજલિ અર્પી રહી……
કવિ, રવિ ઉપાધ્યાય, ‘રવિ’

